ભારતીય હીરા ઉદ્યોગના પડકારોને પહોંચી વળવા નવીન સંશોધનો આશિર્વાદરૂપ

ભારતના કટીંગ અને પોલિશિંગ ક્ષેત્રને રફ ડાયમંડની અછતથી પ્રભાવિત કરતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિથી ઉદ્યોગ હચમચી ગયો પરંતુ તૂટ્યો નહીં.

Diamond-City-Special-Story-A boon of innovative solutions to meet the challenges of the Indian diamond industry
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

ઈતિહાસ સાક્ષી છે કે ભારતીય હીરા ઉદ્યોગે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે, પરંતુ તેજીમંદીના ઉતાર-ચઢાવ વચ્ચે હંમેશા તે મજબૂતાઈથી ઉપર આવ્યું છે. વિશ્વના લગભગ 90 ટકા રફ હીરા સુરત અને ગુજરાતમાં અન્યત્ર કાપવામાં આવે છે અને પોલિશ કરવામાં આવે છે.

આ વિકટ સમયે પણ આ ઉદ્યોગની રફતાર અલગ નથી રહી. ભારતના કટીંગ અને પોલિશિંગ ક્ષેત્રને રફ ડાયમંડની અછતથી પ્રભાવિત કરતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિથી ઉદ્યોગ હચમચી ગયો પરંતુ તૂટ્યો નહીં.

જો કે, હાલમાં, હીરા ઉદ્યોગ ઘણાં પડકારોને માત આપીને ફોનિક્સ પક્ષીની માફક તેની સામાન્ય સ્થિતિ તરફ પાછો ફર્યો છે, જે ભારતીય હીરા ઉદ્યોગ ક્ષેત્રે થયેલ નવીન સંશોધનોને અપનાવીને હીરા ઉદ્યોગને નવીનતા આપવાને આભારી છે.

પરંતુ, આ નાણાંકીય વર્ષની શરૂઆતના મહિનાઓમાં રશિયા-યુક્રેન યુદ્ધને લઈને પશ્ચિમી પ્રતિબંધો, રશિયન ભૌગોલિક અને રાજકીય મુદ્દાઓ, ખાણકામની વિશાળ કંપની અલરોઝા, જે ભારતના રફ હીરાની આયાતનો ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે, તેણે પુરવઠો સંપૂર્ણપણે બંધ કરી દીધો.

આનાથી દેશભરના નાની સાઇઝના હીરા ઉત્પાદન એકમોને ફટકો પડ્યો, જ્યારે સુરત ક્ષેત્ર બચી ગયું કારણ કે તે મોટાભાગે મોટા હીરાનું ઉત્પાદન કરે છે. પરંતુ નાના રફ ડાયમંડની અછતને કારણે સુરતમાં ઘણા નાના યુનિટ કટિંગ અને પોલિશિંગ કારખાનાઓ બંધ કરવા પડ્યા હતા.

હીરાના કારખાનાઓમાં કામ કરતા 20 લાખ કારીગરોમાંથી મોટા ભાગનાને ભારે હાડમારીમાંથી પસાર થવું પડ્યું હતું, કારણ કે અલરોઝા દ્વારા મોટાભાગે નાના રફ હીરાની સપ્લાય થતી હોવાથી નાના હીરાના એકમોને અછતની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

નાના રફ હીરાના ભારતના સૌથી મોટા સપ્લાયર રશિયા પરના પશ્ચિમી પ્રતિબંધોને પરિણામે, સમગ્ર ગુજરાતમાંથી હીરા ઉદ્યોગમાં રોજગારી માટે  સુરતમાં સ્થળાંતર કરનારા કારીગરો માટે પૂરતું કામ નહોતું. એકલા ગુજરાતના હીરા ઉદ્યોગમાં લગભગ ૧૫ લાખ કામદારો રોજગારી મેળવે છે.

આ પરિસ્થિતિના પગલે સ્થાનિક ટ્રેડ યુનિયનનો અંદાજ છે કે સુરતમાં ૨૦ થી ૩૦ હજાર હીરા કામદારોએ તેમની નોકરી ગુમાવી દીધી છે. હાલ આપણે જોઈએ તો સુરતના વેપારીઓ દરરોજ શેરીઓમાં લાખો ડોલરના હીરાનો ખુલ્લેઆમ વેપાર કરે છે, જેમાં કિંમતી હીરાઓની કાગળના રેપિંગમાં હેરફેર કરવામાં આવે છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રાદેશિક અધ્યક્ષ દિનેશભાઈ નાવડિયાએ અભિપ્રાય આપ્યો હતો કે રશિયા-યુક્રેન યુદ્ધે ગુજરાતમાં હીરા ઉદ્યોગના લાખો કામદારોની આજીવિકા પર પ્રતિકૂળ અસર કરી છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં નાના કારખાનાઓમાં રશિયાથી નાની સાઇઝના હીરાની રફની આયાત કરીને તેનું પોલીશીંગ કરે છે.

ગુજરાતનો હીરા-ઉદ્યોગ લગભગ ૧૫ લાખ કારીગરોને રોજગારી આપે છે. રશિયામાંથી આયાત થતી નાની સાઇઝના રફ હીરાના પુરવઠાની અછતને કારણે, ગુજરાતના વેપારીઓને આફ્રિકન દેશો અને અન્ય સ્થળોએથી કાચો માલ ખરીદવાની ફરજ પડે છે, જેના કારણે તેમના નફાને અસર થાય છે.

આથી, રાજ્યમાં હીરાના એકમોએ તેમના કામદારો અને કામકાજના કલાકો ઘટાડી દીધા છે, આમ તેમની આજીવિકા પર અસર પડી છે, એમ તેમણે જણાવ્યું હતું. મોટા કદના હીરાનું પ્રોસેસિંગ મુખ્યત્વે રાજ્યના સુરત શહેરમાં એકમોમાં થાય છે.

યુએસએ, જ્યાંથી 70 ટકા કાપેલા અને પોલિશ્ડ હીરાની ભારતમાંથી નિકાસ કરવામાં આવે છે, તેણે રશિયન કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો છે. નાવડિયાએ જણાવ્યું હતું કે યુ.એસ.માં કેટલીક મોટી કંપનીઓ તેમને પહેલેથી જ ઈમેલ મોકલી ચૂકી છે કે તેઓ રશિયન મૂળનો માલ ખરીદશે નહીં.

આથી, આનાથી ગુજરાતમાં મુખ્યત્વે ભાવનગર, રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાઓ તેમજ રાજ્યના કેટલાક ઉત્તરીય ભાગોમાં હીરા ઉદ્યોગના કામદારો પર પ્રતિકૂળ અસર પડી. નાવડિયાએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં પ્રક્રિયા કરાયેલા તમામ કટ અને પોલિશ્ડ હીરામાંથી, 60 ટકા રશિયન મૂળના છે, જેમાંથી મોટા ભાગના નાના કદના હીરા છે.”

સુરતની કેટલીક મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ દાવો કર્યો હતો કે રશિયામાં અડધા રફ હીરાનો હિસ્સો છે જે તેમની પેઢી અત્યાધુનિક સ્કેનીંગ અને લેસર-કટીંગ મશીનોનો ઉપયોગ કરીને પોલિશ્ડ હીરામાં ફેરવે છે.

પરંતુ માર્ચમાં પશ્ચિમી પ્રતિબંધોએ રશિયાને સ્વિફ્ટ ઇન્ટરનેશનલ પેમેન્ટ નેટવર્કથી અલગ કર્યા પછીના મહિનાઓમાં પુરવઠો ઓછો થઈ ગયો હતો.

ચૂકવણી પ્રણાલીને કારણે કંપનીઓ રશિયા પાસેથી માલ મેળવી શકતી ન હોવાથી, તેઓએ દક્ષિણ આફ્રિકા અને ઘાનાથી રફ હીરાનો માલ ખરીદીને  આ તફાવતને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.

જેથી રશિયા અને ભારત વચ્ચેના 18 અબજ ડોલરના હીરાના વેપારને હવે ભારે ફટકો પડ્યો છે. પરંતુ સમસ્યા માત્ર રફ સપ્લાયથી અટકી ન હતી.

નિકાસકારોએ જણાવ્યું હતું કે તાજેતરના મહિનાઓમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપની માંગમાં પણ ઘટાડો થયો છે કારણ કે ટિફની એન્ડ કંપની, ચોપાર્ડ, પાન્ડોરા વગેરે જેવી ઘણી કંપનીઓએ રશિયામાંથી મેળવેલા હીરા ખરીદવાનો ઇનકાર કર્યો હતો.

પરંતુ ‘નેવર-સે-ડાઇ’ સુરતના હીરા ઉદ્યોગકારોએ તેમના કારખાનાઓ અને કારીગરો તથા હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ લેબગ્રોન હીરા (LGDs)ને કાપવા અને પોલિશ કરવા માટે ચાલુ કર્યો હતો.

સુરતમાં લેબગ્રોન ડાયમંડનું કટિંગ અને પોલિશિંગ આ અગાઉ પણ અસ્તિત્વમાં હોવા છતાં, નવા ઘણા એકમોએ ફૂલ ટાઈમ લેબગ્રોન ડાયમંડનું કટીંગ અને પોલિશિંગ ચાલુ કરી દીધું.

રફ હીરાની સપ્લાયની અછતને કારણે સુરતમાં નેચરલ ડાયમંડ કટિંગ અને પોલિશિંગના કારખાનાઓમાં 16 મેના રોજ 15 દિવસના વેકેશનની જાહેરાત થઈ હતી પરંતુ ઘણાં નાના કારખાનાઓમાં લેબગ્રોન ડાયમંડનું કટીંગ અને પોલિશિંગ શરૂ થતાં હજારો કામદારોની આજીવિકા તેની સકારાત્મક અસર થઈ હતી.

નેચરલ ડાયમંડ કટીંગ અને પોલિશિંગ કારખાનાઓમાં તેમના ઉત્પાદનના 20 ટકા હિરા રશિયન કંપની અલરોઝા પાસેથી મેળવતા હતા જેની ગેરહાજરીમાં લેબગ્રોન ડાયમંડનું કટીંગ અને પોલિશિંગ ચાલુ કરતા કારીગરોને પૂરતું કામ મળી રહ્યું હતું.

યુ.એસ.માં લેબગ્રોન ડાયમંડની વધતી માંગને કારણે નેચરલ ડાયમંડ યુનિટ્સને લેબગ્રોન ડાયમંડનું પ્રોડક્શન ચાલુ કર્યું છે.

અમેરિકા હાલ ફુગાવાની અસરના કારણે ભારતમાંથી નેચરલ ડાયમંડની સરખામણીમાં લેબગ્રોન ડાયમંડની માંગ વધારી રહ્યું છે કારણ કે તે નેચરલ ડાયમંડ કરતા 40 ટકા સસ્તા છે. FY21 ની સરખામણીમાં FY22 માં લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 108.27 ટકાનો વધારો થયો.

હાલ સુરતમાં પરિસ્થિતિ સુધરી છે અને કુદરતી હીરાના કટિંગ અને પોલિશિંગની સાથે સાથે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં પણ વધારો થયો છે.

A boon of innovative solutions to meet the challenges of the Indian diamond industry-3

નેચરલ ડાયમંડ કટીંગ અને પોલીશીંગના કેટલાક એકમોએ તેમના ઉત્પાદનના 20-30 ટકા હિરાને લેબગ્રોન ડાયમંડમાં રૂપાંતરિત કર્યા છે, જે સુરતમાં હીરા કારીગરો માટે રોજગારીનું સર્જન કરે છે.

હાલમાં, ભારત લેબગ્રોન ડાયમંડના વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ 15% યોગદાન આપે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરતમાં પણ નવા લેબગ્રોન ડાયમંડ યુનિટ્સ વધી રહ્યાં છે અને નવી રોજગારી ઊભી થઈ રહી છે.

ભારતીય હીરાઉદ્યોગના અગ્રણીઓએ વાણિજ્ય પ્રધાનને વિનંતી કરી છે કે લેબગ્રોન ડાયમંડને ‘ઉત્પાદન-લિંક્ડ ઇન્સેન્ટિવ’ યોજના હેઠળ લાવવામાં આવે કારણ કે તેની આગામી પાંચ વર્ષમાં રૂ. 40,000 કરોડની નિકાસની સંભાવના છે.

ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે “કુદરતી હીરા અને પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતા હીરા બે અલગ છે અને તેઓ એકબીજાને બદલી શકતા નથી. કેટેગરી તરીકે લેબગ્રોન હીરાની વૃદ્ધિ થઈ રહી છે અને તેના ગ્રાહકોનો આધાર અલગ છે જેઓ વિવિધ પ્રકારની ફેશન જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે.”

તેમણે જણાવ્યું હતું કે “લેબગ્રોન હીરામાં મજબૂત અને વધુ આત્મનિર્ભર સ્થાનિક કટિંગ અને પોલિશિંગ ઉદ્યોગ બનાવવા અને ટકાવી રાખવાની ક્ષમતા છે.

અમે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયુષ ગોયલને એલજીડી ઉદ્યોગનો સમાવેશ કરવા જણાવ્યું છે જે 150 મિલિયન કેરેટ લેબગ્રોન હીરાની પ્રક્રિયા કરવા માટે ૧૦ લાખ લોકોને રોજગારી આપવાની ક્ષમતા ધરાવે છે અને  ટૂંક સમયમાં રૂ.40,000 કરોડનું નિકાસ ટર્નઓવર હાંસલ કરવા સક્ષમ છે.”

દિનેશભાઇ નાવડિયાએ જણાવ્યું હતું કે,”હાલમાં હીરાના કારખાનાઓ કારીગરોને રોજગારી તો પૂરી પાડે છે, પરંતુ યુદ્ધ પહેલાં તેમને આઠ કલાક કામ મળતું જે હવે છ કલાક કામ આપવામાં આવે છે,અઠવાડિયે એક દિવસની રજાના બદલે હવે બે સાપ્તાહિક રજાઓ આપવામાં આવે છે.”

આજની તારીખે, ઉત્પાદકો નુકસાનનો સામનો કરવા છતાં ટકી રહ્યાં છે. ઉત્પાદન ખર્ચ વધી ગયો છે અને તૈયાર માલને યોગ્ય ભાવ મળી રહ્યો નથી.

તેથી, હીરાના એકમો કર્મચારીઓના કામકાજના કલાકોમાં ઘટાડો કરીને મર્યાદિત નોકરીઓ પૂરી પાડે છે. રફ હીરાની અછત છે, પરંતુ ઉત્પાદકો તેમની પાસે પડેલા સ્ટોકનો ઉપયોગ કારીગરોને સાચવી રાખવા માટે કરી રહ્યા છે.

યુ.એસ. ભારતમાં પ્રોસેસ કરાયેલા હીરાનું મુખ્ય ખરીદનાર છે, જે ભારતના હીરા અને હીરાના દાગીનાની નિકાસમાં લગભગ 50% હિસ્સો ધરાવે છે.

યુ.એસ.માં જ્વેલરી રિટેલર્સ, રશિયા-યુક્રેન યુદ્ધ બાદના પ્રતિબંધોથી રશિયન રફના મૂળ હીરા ખરીદી બાબતે સાવચેત છે, તેઓએ સુરત અને મુંબઈના હીરા કટીંગ અને પોલિશિંગ એકમોને તેમના ઇનવોઇસમાં રફ હીરાના મૂળ સ્થાનનો ઉલ્લેખ કરવા જણાવ્યું છે.

યુએસ રિટેલર્સે ભારતીય હીરા પ્રોસેસિંગ એકમો પાસેથી એવી બાંહેધરી પણ માંગી છે કે તેઓ રશિયામાંથી મેળવેલા રફ સ્ટોન્સનો ઉપયોગ નહીં કરે.

તેમની માંગ ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસને નકારાત્મક અસર પહોંચાડી શકે છે અને દેશના હીરા ઉદ્યોગ માટે આ બાબતો જટિલ પ્રશ્નો ઊભા કરી શકે છે, જે પહેલાથી જ રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોની વિપરીત અસર અનુભવી રહ્યો હતો.

ભારતીય હીરા ઉદ્યોગના સમર્થનમાં, ભારત સરકારે કટ અને પોલિશ્ડ હીરા માટે GST 0.25% થી વધારીને 1.5% કર્યો છે. GJEPC કટ અને પોલિશ્ડ હીરા પર GST વધારીને 1.5%, ગ્રેડિંગ અને સર્ટિફિકેશન પર GST ઘટાડીને 1.5%, સંચિત ITCનું રિફંડ વગેરે માંગી રહ્યું હતું.

GST કાઉન્સિલ, 28 અને 29 જૂન 2022ના રોજ યોજાયેલી તેની 47મી બેઠકમાં આ નિર્ણય લીધો હતો. કટ અને પોલિશ્ડ હીરાના સંદર્ભમાં, GST 0.25% થી વધારીને 1.5% કરવામાં આવ્યો છે, જે 18મી જુલાઈ 2022થી અમલમાં છે, જેને હીરા ઉદ્યોગે આવકાર્યો છે કારણ કે તે GST હેઠળ ઈનવર્ટેડ ડ્યુટીના કારણે સામનો કરી રહેલા ઈનપુટ ટેક્સ ક્રેડિટના મુદ્દાને ઉકેલે છે.

સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ એક્ટ, 2017ની ઇનપુટ સેવાઓના કાયદા પ્રમાણે ઇનપુટ ટેક્સ ક્રેડિટના રિફંડનો દાવો કરવાની સુવિધાની મળતી નથી, જેના કારણે ઉદ્યોગના જીએસટી વ્યવહારોની ઇનપુટ ટેક્સ ક્રેડિટ જમા છે.

GJEPCના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે, “અમે કટ અને પોલિશ્ડ હીરા પરના GST દરોને તર્કસંગત બનાવવા અને હીરા ક્ષેત્ર માટે ITC એકત્રીકરણના મુદ્દાને લગતી રાહત આપવા બદલ માનનીય નાણામંત્રીના આભારી છીએ. એવો અંદાજ છે કે અત્યાર સુધીમાં હીરા ઉદ્યોગમાં આશરે રૂ. 600 કરોડનું ITC ક્રેડિટ જમા છે.

કટ અને પોલિશ્ડ હીરા પર GST દરમાં વધારો માત્ર ITCના વધુ સંચયને અટકાવશે નહીં પરંતુ ટેક્સ ક્રેડિટમાં રોકાયેલી વર્કિંગ કેપિટલને મુક્ત કરશે અને ઉદ્યોગના વિકાસને ઉત્તેજન આપશે.

હવે અમે સરકારને આગ્રહપૂર્વક વિનંતી કરીશું કે વેપારીઓને સંચિત GSTનું રિફંડ મળે તે માટે એક મિકેનિઝમ ઔપચારિક રીતે તૈયાર કરે.”

ભારત સરકારના સમર્થનથી, હીરા ઉદ્યોગ હાલમાં સારી સ્થિતિમાં છે અને આગળ જતાં તે વધુ ઊંચાઈઓ સર કરશે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી.


Follow us :
Facebook | Twitter | Pinterest | LinkedIn | Instagram

Join our Telegram Channel to get Latest News

લેટેસ્ટ ન્યુઝ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
https://t.me/diamondcitynewssurat

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant